અસ્થમા

બાળકોને થતો અસ્થમા કેવી રીતે અલગ હોય છે?

જ્યારે બાળકને અસ્થમાનું નિદાન થાય છે ત્યારે માતાપિતા સાથે ઘણા સવાલો ઊભા થાય છે - મારું બાળક શા માટે? શું મારું બાળક સામાન્યની જેમ વિકાસ પામી શકશે? શું મારું બાળક
પોતાની પ્રિય રમતો રમી શકશે?
પરંતુ અસ્થમાથી ચિંતિત થવાની જરૂર નથી. સમસ્યા, લક્ષણો, ટ્રિગર્સ અને સારવારની સંપૂર્ણ
સમજ સાથે તમારા બાળકના અસ્થમાને કાબૂ હેઠળ રાખવો ખૂબ સરળ છે, જેથી તમારા
બાળકનું જીવન તંદુરસ્ત અને સામાન્ય બને.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (ડબલ્યુએચઓ)ના જણાવ્યા પ્રમાણે અસ્થમા એ સમગ્ર વિશ્વનાં બાળકોમાં
શ્વસનની બહુ સર્વાધિક જોવા મળતી સમસ્યા છે. લાખો બાળકોને અસ્થમા હોય છે અને તેઓ
સારી રીતે નિયંત્રિત કરે છે. તેથી તમે એકલા નથી.
પ્રચલિત માન્યતાથી વિપરીત, બાળકોનો અસ્થમા પુખ્ત લોકોના અસ્થમા જેવો નથી હોતો.
પુખ્ત લોકોમાં શ્વાસ ચડવો, શ્વાસમાં સિસોટી જેવો અવાજ, ખાંસી અને છાતી સખ્ત થવી વગેરે
જેવાં વિશિષ્ટ લક્ષણો જોવા મળી શકે છે, જ્યારે બાળકોને આ જ પ્રકારનાં લક્ષણો થાય એ
જરૂરી નથી. અસ્થમાનાં મોટાભાગનાં બાળકોને મુખ્ય લક્ષણ તરીકે ખાંસી હોય છે. સતત રહેતી
ખાંસી (જે 3થી 4 અઠવાડિયાંથી વધુ સમય ચાલે) એ બાળકોમાં અસ્થમા સૂચવતી હોઈ શકે છે.
એ યાદ રાખવું અગત્યનું છે કે યોગ્ય સારવાર અને નિયમન વડે અસ્થમાને સંપૂર્ણપણે કાબૂમાં
લેવો શક્ય છે, જેનો અર્થ એ છે કે તમારું બાળક જે પ્રવૃત્તિઓ કરવા માગતું હોય તે કરી શકે છે.

અસ્થમાની સંપૂર્ણપણે સારવાર શક્ય છે, તેથી તમારે તમારા બાળકના અસ્થમા અને વિકાસ
વિશે ચિંતા કરવાની જરૂર નથી. ઇન્હેલર્સ એ અસ્થમાની સારવાર કરવાનો સૌથી અસરકારક
માર્ગ છે. દવા ઇન્હેલર્સ દ્વારા આપવામાં આવે છે, જેથી તે ફેફસાં સુધી સીધી પહોંચે છે અને
ઓછામાં ઓછી આડઅસરો થાય છે. અસ્થમાની દવાઓ બે પ્રકારની હોય છે - નિયંત્રક અને
રાહત આપતી દવાઓ. નિયંત્રક દવાઓનો ઉપયોગ સમયની સાથે લક્ષણો અને હુમલાઓને
ટાળવા માટે થાય છે. એ યાદ રાખવું જરૂરી છે કે નિયંત્રક દવાઓ તાત્કાલિક રાહત આપતી
નથી. રાહત આપતી દવાઓ તાત્કાલિક રાહત અપાવે છે અને તેમનો ઉપયોગ અસ્થમાના
હુમલા દરમિયાન થાય છે. નિયંત્રક દવાઓનો નિયમિતપણે ઉપયોગ કરવાથી પણ રાહત
આપતી દવાઓ માટેની જરૂરિયાતો ઓછી કરવામાં મદદ મળી શકે છે.

જો તમારા બાળકને અસ્થમા હોય તો તમારે કેટલીક બાબતો પરત્વે ધ્યાન આપવું જરૂરી બને
છે:
 તમારા બાળકના અસ્થમાના ટ્રિગર્સ ઓળખો અને તેમને ટાળો
 તમારા બાળકનાં લક્ષણોને કાબૂમાં કેવી રીતે લેવા તેના વિશે તમારા બાળકના
બાળરોગનિષ્ણાતને મળો
 તમારા બાળક માટે બનાવવામાં આવેલ અસ્થમા ઍક્શન પ્લાનને અનુસરો
 તમારા બાળકને જણાવો અને શીખવો કે ઇન્હેલર્સ અને અન્ય દવાઓનો યોગ્ય રીતે
ઉપયોગ કેમ કરવો
 કન્ટ્રોલર અને રિલિવર ઇન્હેલર એવાં લેબલ મારો જેથી કોઈ મૂંઝવણ ન થાય
 ખાતરી કરો કે તમારું બાળક હંમેશાં પોતાનું રિલિવર ઇન્હેલર સાથે રાખે, પછી ભલે તે
ગમે ત્યાં જાય - શાળા, પાર્ક કે અન્ય પ્રવાસો.
 તમારા બાળકને અસ્થમાની સરળ સમજ આપો, જેથી તે અસ્થમાને સમજી શકે.
ઇન્હેલર્સથી કઈ રીતે મદદ મળે છે અને તેઓ કઈ રીતે અસ્થમા સાથે સંબંધિત
કટોકટીની ઘટનાઓ ટાળી શકે એ પણ તમે જો સમજાવી શકો તો તે ઉત્તમ રહેશે.
 અસ્થમાનો હુમલો આવે એવી સ્થિતિમાં તમારે સૌપ્રથમ શાંત રહેવાનું છે અને તમારા
બાળકને એવી હૈયાધારણ આપવાની છે કે સૌ સારાં વાનાં થશે. આવું કરવા દરમિયાન
તમારા બાળકને આવેલા હુમલા દરમિયાન સહાયતા માટે અસ્થમા સાથે સંબંધિત
તાકીદની સૂચનાઓનું પાલન કરો.
 તમારા બાળકના અસ્થમા વિશે કુટુંબીજનો, સંભાળકર્તાઓ અને શાળાને જાણ કરો,
તેમને અસ્થમાનો ઍક્શન પ્લાન જણાવો અને તેમને તમારી તાકીદની સંપર્ક માહિતી
આપવાનું ભૂલશો નહિ.
 જોકે તમારું બાળક બાળપણ ન ગુમાવે એ જોવું સૌથી અગત્યનું છે. જો તમારું બાળક
નૃત્ય કરવા માગતું હોય, રમત રમવા માગતું હોય, તરવા કે માર્શલ આર્ટ્સની પ્રેક્ટિસ
કરવા માગતું હોય તો તેમને આ પ્રવૃત્તિઓ કરવા દો. તમારા બાળકને અસ્થમા હોવાનો
અર્થ એ નથી કે તેઓનું બાળપણ આનંદમય ન બની શકે.

Please Select Your Preferred Language